
- હાઈકોર્ટે 1 ઓક્ટોબરે કેસની ખુદ નોંધ લીધી હતી, યુપીના ટોચના અધિકારીઓને કહેણ મોકલાયું હતું
- સીબીઆઈએ શનિવારે કેસ ટેકઓવર કર્યો હતો, યોગી સરકારે 3 ઓક્ટોબરે તપાસની ભલામણ કરી હતી
ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતની સાથે કથિત ગેંગરેપ અને મોતના મામલે યોગી સરકારની ભલામણના 7 દિવસ પછી સીબીઆઈએ ટેકઓવર કર્યુ છે. આ દરમિયાન, સોમવારે એેટલે કે 12 ઓક્ટોબરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં આ કેસની સુનાવણી થવાની છે. હાઈકોર્ટે ખુદ નોટિસ લઈને કેસમાં યુપીના ટોચના અધિકારીઓ સહિત હાથરસના ડીએમ અને એસપીને કહેણ મોકલ્યું છે. પીડિત પરિવારને પણ બોલાવવામાં આવ્યો છે. આથી આજે આકરી સુરક્ષામાં પીડિત પરિવારના પાંચ સભ્યોને જુબાની આપવા માટે હાથરસથી લખનૌ લાવવામાં આવશે.
બપોરે લખનૌ રવાના થશે પરિવાર
હાથરસ જિલ્લા તંત્ર બપોરે પીડિત પરિવારને બુલગઢી ગામથી લઈને લખનૌ રવાના થશે. હાઈકોર્ટમાં સરકાર તરફથી વિનોદ શાહી પેરવી કરશે. પરિવારના દરેક સભ્ય અને સાક્ષીઓની સુરક્ષા માટે 2-2 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છએ. પરિવારની મહિલાઓ માટે મહિલા સુરક્ષાકર્મીઓ તહેનાત છે. પિરાવરની મુલાકાત પણ આજે જ સાંજ સુધીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કરાવાય એવી ચર્ચા છે પરંતુ હજુ એ વાતને કોઈ સમર્થન મળ્યું નથી.
લખનૌ યુનિટની ગાઝિયાબાદ ટીમ તપાસ કરશે
આ કેસની તપાસ સીબીઆઈ લખનૌ યુનિટની ગાઝિયાબાદની ટીમ કરશે. સીબીઆઈએ પોલીસ પાસેથી તમામ દસ્તાવેજ મંગાવ્યા છે. અત્યાર સુધીના નિવેદનો અને પુરાવા અંગે જાણકારી લીધા પછી સીબીઆઈ એફઆઈઆર નોંધાવીને તપાસ કરશે. આ અગાઉ 3 ઓક્ટોબરે સીએમના નિર્દેશ પર અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થી અને ડીજીપી હિતેશચંદ્ર અવસ્થીએ હાથરસમાં પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તેના પછી સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના?
હાથરસમાં 14 સપ્ટેમ્બરે 4 લોકોએ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીની કરોડરજ્જુ તોડી નાખી હતી અને તેની જીભ કાપી નાખી હતી. દિલ્હીમાં ઈલાજ દરમિયાન 29 સપ્ટેમ્બરે પીડિતાનું મોત થયું હતું. ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જો કે, પોલીસ એવો દાવો કરી રહી છે કે દુષ્કર્મ થયું નથી.