
- હાલ જેટી, ગેંગવે અને 2 કિલોમીટર લાંબો રન-વે બનાવી દેવાયો
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ) કંપની દ્વારા અંતિમ તબક્કામાં છે.
પ્લેનના સંચાલન માટે ઓપરેશનલ એરિયામાં જેટી (પ્લેટફોર્મ) તૈયાર કરવાની સાથે તેની પર આવવા જવા માટે ગેંગવે સાથે જોડી દેવામાં આવી છે. એજ રીતે પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ માટે નદીના પટમાં માર્કર મૂકી 2 કિલોમીટર લાંબો રનવે પણ તૈયાર કરાયો છે. જ્યારે વહીવટી સંચાલન માટે હાલ બે માળની ઓફિસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે લગભગ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે, જમાલપુર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચે જેટીથી દર 200થી 250 ફૂટના અંતરે બોયા માર્કર મુકી રનવે તૈયાર કરવામાં આવ્યો છે. નદીમાં બન્ને તરફ 9 – 9 માર્કર બોયા મુકવામાં આવ્યા છે. આ માર્કર બોયા મોટા ફુગ્ગા આકારના હોય છે જેને ઉંચાઈથી સ્પષ્ટ જોઈ શકાય છે. સી પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન પાયલોટ આ માર્કર બોયાને જોઈ પાણીમાં ફ્લાઈટનું સફળ લેન્ડિંગ અને ટેકઓફ કરાવી શકશે.
આ ઉપરાંત રિવરફ્રન્ટથી 10 મીટરના અંતરે જેટી ગોઠવ્યા બાદ 11 મીટર લાંબો ગેંગવેે પણ તેની સાથે જોડી દેવામાં આવ્યો છે.
જેટી 1200 માણસનું વજન ઉઠાવી શકશે
દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડાઈ ધરાવતી જેટી તૈયાર કરવામાં આવશે. જો કે હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન (ઈપીએસ) ભરવામાં આવેલ છે જેથી જેટી લીજેક થાય ત્યારે પણ તેમાં પાણી નહીં ભરાય અને હંમેશા તરતી જ રહેશે. જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછંુ 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને એકસાથે 1200 માણસ ઉભા રહી શકશે.